કઠોળ પાક જમીનને કેમ ફળદ્રુપ બનાવે ?

કઠોળપાકને કુદરતે અર્ધ સ્વાવલંબી બનાવી મૂળિયામાં એવી કરામત ગોઠવીને લેગ્યુમ બેક્ટેરિયાનો વાસ કરાવેલ છે કે નાઇટ્રોજનનો ઘણોબધો જથ્થો એ હવામાંથી બારોબાર ખેંચી મૂળની ગાંઠોમા સંગ્રહે છે. જે પોતે તો વાપરે જ છે ઉપરાંત બાજુમાં ઉભેલ અન્ય પાકને પણ એનો લાભ મળે છે. અરે ! પોતાનો દેહ પાકી ગયા પછી પણ ઘણો બધો જથ્થો તેનાં મૂળમાં સંગ્રહાયેલો પડી રહેલો હોય છે. જે જમીનને સધ્ધર બનાવવાનું કામ કરે છે. જમીન વિજ્ઞાનીઓના અભ્યાસનું તારણ છે કે મૂળ પરની રાઇઝોબિયમની ગાંઠો દ્વારા મગ, વટાણા અને સોયાબીન,અડદ હેક્ટરે 60 કિલો, ચોળા 80 કિલો, ચણા 100 કિલો, મેથી 150 કિલો અને તૂવેર 175 થી 200 કિલો હવામાંના નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે. કઠોળ પાકનું આ યોગદાન શું જેવું તેવું ગણાય ?