
કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો હોય તો છેલ્લી વીણી બાદ ખેતરમાં ઘેટાં-બકરાં ચરાવવા એવી સલાહ આપવામાં આવેછે. કારણ કે ઘેટાં-બકરાં છોડ પર રહેલા ઉપદ્રવિત જીંડવા (કે જેમાં ગુલાબી ઈયળ સુષુપ્તાવસ્થામાં ભરાઈ રહે છે.) ખાઈને તેની વસ્તી ઘટાડો કરે છે. સામાન્ય રીતે સિન્થેટીક પાયરેથ્રોઈડ જૂથના કીટનાશકો (જેવા કે સાયપરમેથ્રીન, ફેનવાલરેટ, ડેલ્ટામેથ્રીન વગેરે)ના એકાદ- બે છંટકાવ કપાસ જેવા લાંબાગાળાના પાકમાં કરવામાં આવે છે. પરંતુ કેટલાક ખેડૂતો જ્યાં સુધી દવાનું ડબલુ ખાલી ન થાય ત્યાં સુધી એક જ દવાનો છંટકાવ કરે છે. જેને લીધે સફેદમાખી, મોલો અને પાનકથીરી જેવી ચૂસિયાં પ્રકારની જીવાતોનો વસ્તી વિસ્ફોટ (Resurgence) જોવા મળે છે. મતલબ કે બકરૂ કાઢતા (ઈયળોનું નિયંત્રણ કરતા) ઉંટ પેઠુ (ચૂસિયાં પ્રકારની જીવાતોનો ઉપદ્રવ વધવો) જેવો ઘાટ થયો કહેવાય. તેથી આવા રસાયણોનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો હિતાવહ છે.



