
દૂધાળા પશુઓનો આહાર
પશુપાલન વ્યવસાયમાં ૬૦ થી ૭૦% ખર્ચ ખોરાકનો થાય છે. માટે તેમાં શક્ય તેટલી કરકસર અને કાળજીની ખાસ જરૂર રહે છે. દૂજણા પશુઓનો આહાર મુખ્યત્વે ઘાંસચારો, દાણા અને ક્ષાર મિશ્રણનો બનેલો હોય છે.
દૂધાળ ઢોરને રોજ તેના વજનનાં ૨.૫ % જેટલા સૂકા ચારા (ડ્રાય મેટર)ની જરૂર પડે છે. જાનવરની કુલ જરૂરિયાતના ત્રીજો ભાગ લીલો ચારો હોવો જોઇએ એટલે કે દૂજણા ઢોરને દૈનિક ઓછામાં ઓછા ૨૦ કિ.ગ્રા. લીલો આધુનિક ચારો આપવો જોઇએ. તેમાં પણ શક્ય હોય તો ૪ થી ૭ કિ.ગ્રા. રજકો/ચોળી/ગુવાર અને ૮ થી ૧૨ કિ.ગ્રા. મકાઇ/જુવાર/ઓટ આપવા જોઇએ.એટલે કે એક ભાગ કઠોળ વર્ગ અને બે ભાગ ધાન્ય વર્ગનો ઘાંસચારો આપવો જોઇએ. આમાંથી દૂજણા ઢોરને જોઈતું પ્રોટીન, કેલ્સિયમ અને વિટામિન્સ મળી રહે છે.
દૂધાળા ઢોરને સૂકો ચારો દરરોજ ખાય તેટલો આપવો જોઇએ.લીલાચાર અને સૂકાચારને ટુકડાં કરી, મિશ્ર કરી આપવાથી ચારાનો બગાડ અટકશે
લીલાચારની અછતમાં સાયલેજ અને ઉનાળામાં મળતાં લીલા ઝાડ પાન પણ લીલાચારા તરીકે ખવડાવી શકાય. પશુનો ચારો તાજો,સારો,સ્વચ્છ હોવો જોઇએ અને બગડેલો કે ફૂગવાળો ન હોવો જોઇએ.
સાયલેજ (ઘાસ ચારનું અથાણું)
ધાન્ય વર્ગના પાકોને સાયલોપીટ અથવા સાયલો બેગમાં નાના નાના ટુકડાં કરી ભરવામાં આવે છે. ભરતી વખતે આ ઘાસચારાના ટુકડાં સાથે ૧ ટકા મીઠું તથા ૩ ટકા ગોળની રસી ઉમેરવી.સાયલાને આ રીતે ભર્યા પછી પ્લાસ્ટીકથી હવા ચુસ્ત રહે તે રીતે ૨૧ દિવસ સુધી ઢાંકી રાખવું.ત્યારબાદ પશુ આહાર તરીકે ઉપયોગ કરવો.
પરાળ કે કડબની યુરીયા પ્રક્રિયા
૪ કિ.ગ્રા. યુરીયા ૫૦ થી ૬૦ લી. પાણીમાં ઓગળી ૧૦૦ કિ.ગ્રા. પરાળ કે કડબ પર છંટકાવ કરવો.આ રીતે ૧૦૦ કિગ્રાના થર પર થર કરી દર વખતે યુરીયા છંટકાવ કરી ૨૧ દિવસ સુધી પ્લાસ્ટિક કંતાનથી ઢાંકી હવા ચુસ્ત રાખવું.છ માસથી ઉપરના પશુને ૨૫ દિવસ બાદ ખવડાવવું.



