
ચણા એ ઠંડી અને સૂકી પરિસ્થિતિમાં થતો પાક છે, જે પાણીની ખેંચ અને ઓછી માવજત સામે પણ ટકી શકે છે. દિવસની લંબાઈ અને ઉષ્ણતામાનની સ્થિતિ પરથી આ પાકની અવધિ નક્કી થાય છે. જેનીઉત્પાદન પર પ્રબળ અસર પડે છે, ગુજરાત જેવા પ્રદેશો કે જ્યાં ઠંડીનું પ્રમાણ અને ઠંડીના દિવસો ઓછા છે, ત્યાં સાડા ત્રણથી ચાર મહિનામાં પાકી જતો આ પાક ઉત્તરપ્રદેશ, પંજાબ અને હરિયાણા જેવાં રાજ્યોમાં વધારે સમય લે છે, પાક ઉત્પાદનનો આધાર પાકવાના દિવસો પર અવલંબે છે. સૂકી અને ઠંડી આબોહવામાં થતા ચણા હિમ સહન કરી શકતા નથી. વાવણી વખતે ૨૫° થી ૩૦ સેન્ટીગ્રેડ ઉષ્ણતામાન અનુકૂળ છે. જો માવઠું કે વાદળવાળું હવામાન હોય તો નુકસાન થાય છે. મોસમ દરમિયાન પૂરતી ઠંડી ન પડે કે ગરમી વધી જાય તો ઉત્પાદન પર અવળી અસર પડે છે.



