
નાના સ્કેલ પર બાયોચાર કોલસાનું ઉત્પાદન : બજારોમાં મળતા બાયોચારની કિંમત વધારે હોય છે જયારે ખેડૂતો માટે મોટાપાયા પર બાયોચારનું ઉત્પાદન કરવું આર્થિક રીતે શક્ય નથી. આથી ખેડૂતોને તેમના ખેતર પર જ બાયોચાર બનાવવું જ સલાહભર્યું કહી શકાય. આ માટે ખેડૂતે બેરલ અથવા ૫ીપડાને હવાચુસ્ત રીતે (માત્ર બાયોમાસને જરૂરી હવા મળે તે માટેના છિદ્રો રાખવા આવશ્યક છે) રીએક્ટર ભઠ્ઠીમાં રૂપાંતરિત કરવાનું હોય છે. બેરલરૂપી રીએક્ટરમાં બાયોમાસ (કૃષિ અવશેષો) ને ભઠ્ઠીમાં નાખવા માટે એક બારી રાખવી જરૂરી છે. આ ઉપરાંત કૃષિ અવશેષોના આંશિક દહન દરમિયાન ઉત્પન્ન થતા ધુમાડા (સિન-ગેસ) ને બહાર જવા માટે રીએક્ટર ભઠ્ઠી પર ચીમની (નળાકાર ભૂંગળું) રાખવામાં આવે છે. આ રીતે બનાવેલા રીએક્ટર ભઠ્ઠીમાં વિવિધ પ્રકારના બાયોમાસને નિયત તાપમાન પર અને નિયત સમય સુધી આંશિક દહન કરવાથી બાયોચાર બનાવી શકાય છે.



