
મગફળી એ સૂકી ખેતી અને અનિયમિત વરસાદવાળા વાતાવરણમાં વવાતો પાક છે તેથી એકલો પાક લેવાથી મોટું નુકસાન થવા સંભવ રહે છે. એટલે મગફળી સાથે કપાસ, એરંડા, તુવેર, તલ, સૂર્યમુખી જેવા પાકો આંતરપાક તરીકે લેવાથી ઉત્પાદન જોખમ ઘટાડી શકાય છે અને સરવાળે બે પાકમાંથી ખેડૂતને વધુ આવક મળી શકે છે. એટલે આંતર કે રીલે પાક પદ્ધતિ અપનાવવી. જેમાં નીચે મુજબ વાવેતર કરવાથી વળતર મળે છે. ઉભડી મગફળી અને એરંડા અથવા તુવેરને ૩:૧ના પ્રમાણમાં આંતર પાક તરીકે લેવાથી એકલા મગફ્ળીના પાક કરતા વધુ વળતર મળે છે. • કપાસ ૧૮૦ સે.મી.ના અંતરે વાવેતર કરી વચ્ચે ઉભડી મગફળીની બે હાર કરવી. • મગફળીની વેલડી જાતનુ ૯૦ સે.મી.ના અંતરે વાવેતર કરી વચ્ચે સૂર્યમુખીની એક હાર કરવી. • સંકર એરંડીનું ૧ર૦ સે.મી.ના અંતરે વાવેતર કરી વચ્ચે ઉભડી મગફ્ળીની બે હાર ૩૦ સે.મી.ના અંતરે વાવવી. આડી મગફળીની જાતના ઉભા પાકમાં છેલ્લી આંતર ખેડ પછી તુવેરની મધ્યમ મોડી પાકતી જાત બીડીએન-ર મગફળીના બે ચાસ વચ્ચે વાવેતર કરવાથી મગફળીના પાકમાં ઉત્પાદનનો ઘટાડો થયા વગર વધારાનુ ઉત્પાદન મેળવી શકાય છે.



