
મધમાખી ખેતીમાં ઉત્પાદન વધારે
ખેતીના પાકોમાં વધારાનો કશો જ ખર્ચ કર્યા વિના માત્ર આ માખીઓની શરીર સાથે ચોટી જતાં પરાગકણો દ્વારા પરાગનયન થતા આપમેળે 20 થી 30 ટકા સુધી ઉત્પાદનમાં વધારો થઇ શકે છે તેવું તેના તજજ્ઞોનું કહેવાનું છે. “મધુમખ્ખી પાલન” વ્યવસાય તો ખેતીને સંલગ્ન એવા ગૃહઉદ્યોગ તરીકે ઉત્તમ પૂરવાર થઇ રહ્યો છે.બીજા ધંધાની સરખામણીએ મૂડી રોકાણ મામૂલી, વળી તેને માટે કોઇ ઇમારતો કે વધારાની જમીનો-કશાયની જરૂરત નહીં. આ માટે આપણે જેની મધ આપવાની ક્ષમતા વધારે છે તેવી પાલતુ મધમાખી વાડીમાં વસાવવી પડે.
જેનો ગમે ત્યાંથી આવળ, બાવળ, આંકડા કે સ શેઢાપાળા ની વાડની વનસ્પતિ કે વાડીના ચારા શાકભાજીના ફૂલોમાંથી , ભીની માટી, કાદવ કે કિચડમાંથી, જ્યાંથી મળ્યો ત્યાંથી તે ખોરાક મેળવી લે છે, અને એનો સ્વભાવ જ છે –મધ બનાવી,સંચય કરતા રહેવાનો. જે ઉત્તમ દવા, ઉત્તમ ટોનિક અને ઉત્તમ ખોરાક ગણાય છે તેવું, કહોને ‘સંપૂર્ણ આહાર’ ગણાય તેવું “મધ” ! જેનું બાળકો, યુવાનો અને વૃધ્ધો દરેકને આંખોની જાળવણી તથા લોહીના શુધ્ધિકરણ દ્વારા રક્તકણોની વૃધ્ધિ અને પાચનતંત્રની વ્યવસ્થિતતામાં બહુમોટું પ્રદાન રહ્યું છે તેવું મધ પૂરું પાડવા ઉપરાંત રંગકામ ઉપયોગી એવું કુદરતી “મીણ” પણ આપે છે.



