
જમીનમાં કાર્બન ઉમેરવા માટે જમીનમાં પાકના અવશેષો ઉમેરવા ખૂબ જ જરૂરી છે. પાકના અવશેષોના લીધે જે પણ તત્ત્વ છોડ દ્વારા લેવામાં આવ્યું હોય તેને પાછું જમીનમાં આપવામાં આવે છે. પાકના અવશેષોનું વિઘટન થઈને જમીનમાં કાર્બન ફરીથી પ્રસ્થાપિત કરી શકાય છે. આ અવશેષો જમીનમાં જઈને સડવાની પ્રક્રિયા શરૂ કરે છે તથા તેના લીધે જમીનમાં રહેલ વિવિધ સૂક્ષ્મ જીવાણુઓ તેનો ઉપયોગ કરીને જમીનમાં કાર્બનનો ઉમેરો કરે છે. સૂક્ષ્મ જીવોનો ખોરાક એટલે કે જૈવિક કચરો અને તેને એ આપવામાં આવે ત્યારે જૈવરાસાયણિક પ્રક્રિયા દ્વારા જમીનમાં કાર્બનિક પદાર્થમાં વધારો થાય છે. તો આવા કીમતી પાકના અવશેષોને અચૂક પણે જમીનમાં ભેળવીને જમીનમાં કાર્બનિક પદાર્થમાં વધારો કરવો જોઈએ. અત્યારે ઘણા ખેડૂતો પાકના અવશેષોને બાળી નાખે છે જેના લીધે જમીનમાં રહેલ કાર્બન નાશ પામે છે તથા જમીનમાં રહેલ જીવ સૃષ્ટિને પણ ઘણું નુકસાન થાય છે. જેની સીધી અસર જમીનની ફળદ્રુપતા પર પડે છે. તો આવી તદ્દન ખોટી પ્રક્રિયાને બંધ કરીને પાકના અવશેષોને જમીનમાં ભેળવવા જોઈએ. જેથી કરીને આપણે જમીનનો કાર્બન સપ્રમાણ રીતે જાળવી શકીએ અને આપણી જમીનની ફળદ્રુપતા ટકાવી શકીએ છીએ.



