પશુ હોય કે પ્રાણી બધું માપમાં સારું ?

પશુ હોય કે પ્રાણી બધું માપમાં સારું ? અળસિયાની વસાહત પણ ઊભી કરી છે. શરૂ શરૂમાં એકલું છાણ જ અળસિયાને ખાવા આપતા. પણ પછી એમ થયું કે અલ્યા ! છાણ પોતે જ ઉત્તમ ખાતર છે. એ ખાઈને અળસિયા ખાતર બનાવી દે એમાં શી નવાઈ ? આપણી વાડીમાં તો ખેત – કચરાનો પાર નથી. એ જ ખાવા દીધો હોય તો કેમ ? અમે કર્યો પ્રયોગ ! એક પાળો કર્યો એકલા છાણનો અને બીજો કર્યો બાજુમાં ભાંગીને ભૂક્કો કરેલા ખેતકચરાનો. એમ બાજુ બાજુમાં ફુલ છ પાળા બનાવી, ભેજ આપી, ઠંડા કરી છ એ છ માં સરખી સંખ્યામાં છોડ્યા અળસિયા ! દસેક દિવસે તપાસ કરી તો કૂચાવાળા પાળામાં બચી હતી ગણીગાંઠી સંખ્યા – જયારે છાણના પાળામાં જાણે કીડીયારું ઊભરાણું ! પાળા ભીંજવતા નીચેની ભીની થયેલ સપાટી દ્વારા રાત્રિ દરમ્યાન કૂચા વાળામાંથી લાગ મળ્યો તે બધા સરકી સરકી છાણ બાજુ પહોંચી ગયેલા. તમે જૂઓ તો ખરા ! જેને નથી હાથ-પગ કે નથી આંખ-કાન, છતાં શું પહેલા ખવાય, અને એ મળતું હોય ત્યાં સુધી બીજું ન ખવાય એની પૂરી ખબર એને પડે છે હો…