ખરા ઉનાળે આપણા બાગમાં પાકા લીંબુ ઉતરે એ માટે શું કરવું ?

વરસાદ પૂરો થયે ઝાડવા પરથી મોટા લીંબુ બધા ઉતારી લેવા અને પિયત આપવાનું સદંતર બંધ કરવું. જેથી પાન પાકી જઇ ખરવા માંડશે. જમીન ભેજ ન છોડતી હોય તો તંતુમૂળ તૂટે એવો ઊંડો ગૉડ આપી જમીનમાં ભેજ છોડાવવો. પાંદ બધા ભલે ખરી ન જાય પણ સાવ પાકોટી જાય ત્યાં સુધી પાણી દેવાની ઉતાવળ ન કરવી. દરમ્યાન સૂકી અને રોગિષ્ટ ડાળીઓ કાપી લઇ દૂર કરવી. કાપની જગ્યાએ બોર્ડોપેસ્ટ લગાડવું. અને પહોંચ મુજબ બોનમીલ, રાખ, વર્મીકંપોસ્ટ અને દિવેલી-લીંબોળી ખોળ તથા કોહવાયેલું ગળતિયું ખાતર ખામણામાં પાથરી ભેળવી રાખવા. ઝાડ પૂર્ણ આરામમાં ગયા પછી પાણી આપીએ એટલે નવી ફૂટ જે નીકળશે તેમાં પાંદડાં થોડાં અને ફૂલો વધુ ખીલેલા ભળાશે ! વધુ ફૂલો લાવવા 10 પીપી એમ ટુફોરડી અને 1 ટકા યુરિયાનો પાંદ પર છંટકાવ કરી જોવો .] નવેમ્બરની શરૂઆતથી આખર સુધી જે ફૂલો ખીલશે તે ઉનાળાની ખરી ગરમીમાં લીંબુને પરિપક્વ બનાવશે, જે માર્કેટમાં સારામાં સારા ભાવે વેચાશે અને ખેડૂતને ઠીક ઠીક નાણાં રળી આપશે.

Tags

Share this post: