
જમીનની ફળદ્રુપતા જાળવવા કે વધારવા માટે જમીનમાં સેંદ્રિય પદાર્થો ઉમેરવા અનિવાર્ય છે. આ સેંન્દ્રિય પદાર્થોના. મુખ્ય સ્ત્રોત છાણીયું ખાતર, કમ્પોષ્ટ , ખોળ અને લીલો પડવાશ છે. કઠોળ વર્ગના અમુક પાકો ઉગાડીને લીલો પડવાશ કરી જમીનમાં ભેળવવાથી પુષ્કળ માત્રામાં સેંદ્રિય પદાર્થ અને પોષકતત્વોની પૂર્તિ ઉમેરા સાથે બીજા અનેક ફાયદા કરે છે. જેમકે જમીનની તંદુરસ્તી, ળદ્રુપતા જળવાય છે. પરિણામે પાક ઉત્પાદન વધે છે. છાણિયા ખાતરની અછત અને ખોળ જેવા આર્થિક રીતે મોંઘા ખાતરના પર્યાયરૂપે લીલો પડવાશ એક સસ્તો સ્ત્રોત છે જે ખેડુતો સહેલાઈથી અપનાવી શકે છે.
લીલો પડવાશ એટલે શું?
એવા પાકો કે જે (ખાસ કરીને કઠોળર્ગના પાક) સહેલાઈથી જમીન ઉપર ઉગાડી કૂલ આવતા પહેલા જમીનમાં દાટી દેવામાં આવે છે. જે જમીનમાં ભળી જઈ વિઘટન પામે છે અને જમીનને પોષક તત્વો પૂરા પાડે છે. આવા પાકોને લીલા પડવાશના પાકો કહેવામાં આવે છે અને આ આખી પ્રક્રિયાને “લીલો પડવાશ‘ કહે છે. લીલા પડવાશનો ખ્યાલ સૌ પ્રથમ જર્મન વૈજ્ઞાનિક લુઝલુમીઝે આપેલો.
લીલો પડવાશની રીતો
- લીલો પડવાશ ખેતરમાં ઃ આ પધ્ધતિમાં ખેતરમાં જ લીલો પડવાશના પાકો ઉગાડી તેની કુલ અવસ્થાએ જમીનમાં દબાવવામાં આવે છે. જ્યારે દબાવવામાં આવે તે સમયે જમીનમાં પુરતો ભેજ (કોહવાવવા માટે) હોવો અત્યંત આવશ્યક છે. લીલો પડવાશ માટે ઈક્કડ, શણ, ગુવાર, ચોળા અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો પસંદ કરવામાં આવે છે.
- લીલા પાંદડા અને કુમળી ડાળીઓ લાવી જમીનમાં ભેળવી દેવા જેમાં ગ્લીરીસીડીયા, કરંજ અને શેવરી જેવા વૃક્ષ અને ક્ષુપનો ઉપયોગ થાય છે. લીલા પડવાશના પાકો ખેતરમાં ઉગાડી કમ્પોસ્ટ ખાતર બનાવી ઉપયોગ કરવો. કોઈ વખત વરસાદ ઓછો હોય તો લીલા પડવાશના પાકને ઉપાડી ખાડામાં લીલા પદાર્થને કોહવાડાવીને ખાતર બનાવવું.
લીલો પડવાશના પાકો
- કઠોળવર્ગના પાકો : ઇક્કડ, શણ, મગ, અડદ, ચોળા ગુવાર, ખેસરી અને બરસીમ
- બિન – કઠોળવર્ગના પાકો જુવાર, મકાઈ, સૂર્યમુખી અને રામતલ
વિવિધ લીલા પડવાશના પાકો દ્વારા લીલા માવાનું ઉત્પાદન અને નાઈટ્રોજનનો ઉમેરો
| ક્રમ | પાક | બિયારણનો દર (કિગ્રા/હે.) | લીલો જથ્થો (ટન/હે./વર્ષ) | જમીનમાં ઉમેરાતો નાઈટ્રોજનનો જથ્થો (કિગ્રા.હે.વર્ષ) |
| ૧ | શણ | ૭૫-૮૦ | ૧૫-૩૦ | ૮૦-૧૦૦ |
| ૨ | ઇક્ક્ડ | ૫૦-૬૦ | ૨૦-૨૫ | ૬૦-૭૦ |
| ૩ | મગ | ૪૦ | ૨૦-૨૫ | ૩૦-૬૦ |
| ૪ | ચોળા | ૪૦ | ૨૦-૩૦ | ૨૫-૫૦ |
| ૫ | અડદ | ૫૦ | ૨૦-૨૫ | ૨૫-૫૦ |
લીલા પડવાશ માટે પાકની પસંદગીમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ
- લીલા પડવાશ માટે બને ત્યાં સુધી કઠોળ વર્ગના પાકો પસંદ કરવા જોઈએ.
- પસંદ કરેલ પાક ટુંકા સમય ગાળામાં વધારે લીલા માવાનું ઉત્પાદન કરવાની ક્ષમતા હોવી જોઈએ.
- એકમ વિસ્તારમાંથી મહત્તમ લીલો પદાર્થ મળે તેમજ ઝડપથી વધી શકે તેવો અને ઓછા સમયમાં તૈયાર થતો હોવો જોઈએ.
- પસંદ કરેલ પાકના થડ જેમ બને તેમ પોચા અને થડ અને ડાળીઓ કરતા પાંદડાનું પ્રમાણ વધારે હોવું જોઈએ જેથી તે ઝડપથી કહોવાઈ શકે.
- જે તે જમીનને અનુરૂપ ઓછા પાણીએ ઉગી શકે તેવા અને ઊંડા મૂળવાળા પાકો પસંદ કરવા.
- જે પાકનું બિયારણ સહેલાઈથી અને સસ્તા દરે મળી શકે તેવા પાકો પસંદ કરવી જોઈએ.
લીલા પડવાશના ફાયદા
- જમીનનું બંધારણ સુધારે છે. જમીનને ભરભરી, પોચી બનાવે છે તથા તેની નિતારશક્તિ વધારે છે.
- જમીનમાં સેન્દ્રિય તત્વો ઉમેરે છે જેથી સૂત્રમજીવાણુંઓની પોતાની કામગીરી સક્રિય બને છે
- જમીનનું ધોવાણ ઓછું થાય છે તેમજ જમીનની ભેજ સંગ્રહશક્તિ વધે છે
- કઠોળ વર્ગના પાક લેવામાં આવતા હોય હવામાં રહેલા નાઈટ્રોજન મૂળ દ્વારા જમીનમાં ઉમેરાય છે
- ઈડમાં કેલ્શિયમનું પ્રમાણ હોય આ પાક જમીનની ખારાશ દૂર કરવામાં મદદરૂપ થાય છે
- નિંદણનું પ્રમાણ ઓછું થાય છે કારણ કે લીલા પડવાશના પાકો જલ્દીથી વધે છે.
- લીલા પડવાશના પાક જમીનમાં ઊંડેથી પોષક તત્વો લઈ જમીનના ઉપરના સ્તરમાં તેને પાછા જમા કરે છે.
લીલા પડવાશ માટે મુખ્યત્વે કઠોળ વર્ગના પાકો લેવામાં આવે તો તે જમીનમાં સેન્દ્રિય પદાર્થ ઉમેરે છે. હવામાંના નાઈટ્રોજનનું જમીનમાં સ્થિરીકરણ કરે છે. લીલા પડવાશનો પાક (કઠોળ પાક) એક હેક્ટરમાં લેવામાં આવે ત્યારે જમીનમાં ૮ થી ૨૫ ટન જેટલો લીલો પદાર્થ જમીનમાં ઉમેરાય છે. જે ૬૦ થી ૯૦ કિ.ગ્રા. નાઈટ્રોજનનો જમીનમાં ઉમેરો કરે છે. જેટલો સેન્દ્રિય પદાર્થ ૩ થી ૧૦ ટન છાણિયા ખાતર નાંખવાથી જમીનમાં ઉમેરાય તેટલો સેન્દ્રિય પદાર્થ એક હેક્ટરના લીલા પડવાશમાંથી જમીનમાં ઉમેરાય છે.
શ્રી ડી. પી. જોષી, શ્રી એન. એમ. ચૌધરી કૃષિ સંશોધન કેન્દ્ર (આસેડા), સ.દા. કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, ‘ મુ. અસોડા, તા. ડીસા, જી. બનાસકાંઠા.



